શ્રીમદ્ ભાગવતમ્ પ્રથમ સ્કંધ (Srimad Bhagavatam Pratham Skandh)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
શ્રીમદ્ ભાગવતમ્ દાર્શનિક અને સાહિત્યિક પ્રશિષ્ટ મહાકાવ્ય એવું “શ્રીમદ્ ભાગવતમ્” ભારતીય તત્ત્વજ્ઞાનના વિપુલ જ્ઞાનભંડારમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. ભારતનું સમયથી પર એવું જ્ઞાન વેદોમાં અભિવ્યક્ત થયેલું છે. એ પ્રાચીન સંસ્કૃત ગ્રંથો માનવજ્ઞાનનાં સર્વ ક્ષેત્રોને આવરી લે છે. મૂળભૂત રીતે મૌખિક પરંપરા દ્વારા ઊતરી આવેલા વેદોને ભગવાનના શબ્દાવતાર શ્રીલ વ્યાસદેવે સર્વપ્રથમ લિપિબદ્ધ કર્યા. વેદોનું સંકલન કર્યા પછી શ્રીલ વ્યાસદેવને તેમના આધ્યાત્મિક ગુરુદેવે વેદોના અગાધ સારતત્ત્વને “શ્રીમદ્ ભાગવતમ્” રૂપે પ્રસ્તુત કરવાની પ્રેરણા આપી. ‘વૈદિક સાહિત્યરૂપી વૃક્ષના પરિપક્વ ફળ’ તરીકે સુવિખ્યાત “શ્રીમદ ભાગવતમ્” એ વૈદિક જ્ઞાનનો સર્વાધિક સંપૂર્ણ અને અધિકૃત આવિર્ભાવ છે. ૧. વિરાટ કમળ પુષ્પના ચંદા સમાન દેખાય છે, તે મૂળ દિવ્ય લોક ‘ગોલોક વૃદાંવન’ કહેવાય છે. તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, ભગવાન શ્રીકૃષ્ણનું દિવ્ય ધામ છે. ૨. આ આદિ ગ્રહ ગોલોક બ્રહ્મજ્યોતિ નામના દિવ્ય કિરણોનો પ્રકાશપુંજ વિતરિત કરે છે. આ બ્રહ્મજ્યોતિ એ નિર્વિશેષવાદીઓનું અંતિમ ગંતવ્ય છે. ૩. જેવી રીતે ભૌતિક બ્રહ્માંડમાં સૂર્યકિરણોમાં અસંખ્ય ભૌતિક ગ્રહો આવેલા છે, તેવી રીતે આ અસીમ બ્રહ્મજ્યોતિમાં અસંખ્ય દિવ્ય ગ્રહો આવેલા છે. આ દિવ્ય ગ્રહોના અધિષ્ઠાતા ભગવાન કૃષ્ણના પૂર્ણ અંશો છે, અને ત્યાંના રહેવાસીઓ નિત્ય-મુક્ત જીવાત્માઓ છે. તેઓ બધા ચતુર્ભુજ હોય છે. ત્યાં ભગવાન ‘નારાયણ’ સ્વરૂપે અને તે ગ્રહો ‘વૈકુંઠ’ નામે ઓળખાય છે. ૪. કેટલીક વાર એક દિવ્ય વાદળ બ્રહ્મજ્યોતિના દિવ્ય આકાશના એક ખૂણાને આવરી લે છે અને એ આવૃત ભાગ મહત્તત્ત્વ કહેવાય છે. પછી ભગવાન તેમના પૂર્ણ અંશ મહાવિષ્ણુરૂપે મહત્તત્ત્વના જળમાં શયન કરે છે. તે જળ કારણસમુદ્ર (કારણ-જલ) કહેવાય છે. ૫. તે ભગવાન જ્યારે કારણસમુદ્રમાં શયન કરે છે, ત્યારે તેમના શ્વસોચ્છ્વાસમાંથી અસંખ્ય બ્રહ્માંડોનું સર્જન થાય છે. આ તરતાં બ્રહ્માંડો કારણસમુદ્રમાં સર્વત્ર પથરાયેલાં છે. તે સર્વ મહાવિષ્ણુના એક શ્વાસ સુધી ટકે છે. ૬. આ જ મહાવિષ્ણુ પ્રત્યેક બ્રહ્માંડમાં ગર્ભોદકશાયી વિષ્ણુરૂપે પુનઃપ્રવેશ કરે છે, અને ત્યાં ગર્ભસમુદ્ર પર રહેલા તેમના અંશાવતાર શેષનાગ ઉપર શયન કરે છે. વિષ્ણુના ઉદરની નાભિમાંથી એક કમળદંડ પ્રગટે છે, અને એ કમળ પર બ્રહ્માંડના સર્જનહાર બ્રહ્માજી જન્મે છે. પછી બ્રહ્મા બ્રહ્માંડમાં સર્વ જીવોનું સર્જન તેમની ઈચ્છાઓના સંદર્ભમાં કરે છે. તેઓ સૂર્ય, ચંદ્ર અને અન્ય દેવતાઓને પણ સર્જે છે. ૭. પ્રત્યેક બ્રહ્માંડના લગભગ કેન્દ્રસ્થાનમાં સૂર્ય હોય છે અને તે સમગ્ર બ્રહ્માંડમાં પુષ્કળ પ્રકાશ અને ઉષ્માનું વિતરણ કરે છે. મહત્તત્ત્વનાં કરોડો અને અબજો બ્રહ્માડોમાં કરોડો અને અબજો સૂર્ય રહેલા છે. બ્રહ્માંડ મૂળ સ્વભાવે જ અંધકારમય હોઈ તેને સૂર્યો તથા ચંદ્રોની જરૂર રહે છે. વેદો આપણને ઉપદેશ આપે છે કે અંધકારમય વિશ્વમાંથી બહાર આવો અને બ્રહ્મજ્યોતિના જાજ્વલ્યમાન પ્રકાશપુંજને પામો. ૮. બ્રહ્મજ્યોતિ સ્વયં પ્રકાશમય વૈકુંઠ ગ્રહોમાંથી પ્રગટે છે. એ વૈકુંઠ લોકને સૂર્ય, ચંદ્ર કે વિદ્યુતની પણ જરૂર હોતી નથી. શ્રીમદ્ ભાગવતમ્ આપણને સર્વોચ્ચ ગ્રહ ગોલોક વૃંદાવનની પ્રાપ્તિમાં સહાયરૂપ થાય છે. એનું પ્રવેશદ્વાર પ્રત્યેકને માટે ઊઘાડું છે. માનવજીવન આ વિશિષ્ટ ધ્યેયને પામવા માટે નિર્માયેલું છે, કારણ કે એ જ સર્વોચ્ચ પૂર્ણતા છે.
Sample Audio